બંધ જગ્યાનો હવાલો ધરાવનાર વ્યકિતઓએ ઝડતી લેવા દેવા બાબત - કલમ : 103

બંધ જગ્યાનો હવાલો ધરાવનાર વ્યકિતઓએ ઝડતી લેવા દેવા બાબત

(૧) આ પ્રકરણ હેઠળ ઝડતી કે તપાસને પાત્ર જગ્યા બંધ હોય ત્યારે તેમાં રહેનાર કે તેનો હવાલો ધરાવનાર વ્યકિતએ વોરંટનો અમલ કરતા અધિકારી કે અન્ય વ્યકિતની માંગણી ઉપરથી અને વોરંટ રજૂ કરવામાં આવે ત્યારે તેને તે જગ્યામાં અડચણ વિના આવવા દેવી જોઇશે અને તેની ઝડતી લેવા માટે તમામ વ્યાજબી સગવડ આપવી જોઇશે.

(૨) એ રીતે તે જગ્યામાં દાખલ ન થઇ શકાય તો વોરંટનો અમલ કરતા અધિકારી કે અન્ય વ્યકિત કલમ-૪૪ ની પેટા કલમ (૨) માં જણાવેલી રીતે કાયૅવાહી કરી શકશે.

(૩) જેને માટે ઝડતી લેવી પડે તેમ હોય તેવી કોઇ વસ્તુ પોતાના અંગ ઉપર છુપાવી રાખ્યાનો તે જગ્યામાં અથવા તેની આસપાસમાં હોય તે કોઇ વ્યકિત ઉપર વાજબી રીતે શક જાય તો તે વ્યકિતની ઝડતી લઇ શકાશે અને એ વ્યકિત કોઇ સ્ત્રી હોય તો પૂરી સભ્યતા જાળવીને બીજી કોઇ સ્ત્રી મારફત ઝડતી લેવડાવવી જોઇશે.

(૪) આ પ્રકરણ હેઠળ ઝડતી લેતા પહેલા ઝડતી લેવા જતા અધિકારી કે અન્ય વ્યકિતએ જયાં ઝડતી લેવાનું સ્થળ આવેલું હોય તે લતાના બે કે તેથી વધુ નિષ્પક્ષ અને આબરૂદાર રહીશોને સાક્ષી થવા માટે અને સદરહુ લતાના એવા રહીશો ન મળે અથવા ઝડતીના સાક્ષી થવા માટે રાજી ન હોય તો બીજા કોઇ લતાના બે કે તેથી વધુ નિષ્પક્ષ અને આબરૂદાર રહીશોને ઝડતી વેળા હાજર રહી તેના સાક્ષી થવા માટે બોલાવવા જોઇશે અને તેમ કરવા માટે તેમના ઉપર કે તેમાંનો કોઇ ઉપર તે લેખિત હુકમ કાઢી શકશે.

(૫) ઝડતી તેઓની હાજરીમાં લેવી જોઇશે અને ઝડતી દરમ્યાન કબ્જે લીધેલી તમામ વસ્તુઓની અને તે જે જગ્યાએથી મળી આવી હોય તેની તે અધિકારીએ કે અન્ય વ્યકિતએ એક યાદી તૈયાર કરવી જોઇશે અને તેની ઉપર તે સાક્ષીઓએ સહી કરવી જોઇશે પરંતુ આ કલમ હેઠળની ઝડતીના સાક્ષીઓને ઝડતીના સાક્ષી તરીકે ન્યાયાલય સમન્સ કાઢી ખાસ બોલાવે નહી તો તેમને ન્યાયાલયમાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહી.

(૬) જેની ઝડતી લેવામાં આવે તે જગ્યાનો ભોગવટો કરનારને અથવા તેના વતી કોઇ વ્યકિતને દરેક પ્રસંગે ઝડતી દરમ્યાન હાજર રહેવા દેવામાં આવશે અને આ કલમ હેઠળ તૈયાર કરેલી અને સદરહુ સાક્ષીઓની સહીવાળી યાદીની એક નકલ તેને કે તે વ્યકિતને આપવી જોઇશે.

(૭) પેટા કલમ (૩) હેઠળ કોઇ વ્યકિતની ઝડતી લેવામાં આવે ત્યારે કબ્જે લીધેલી તમામ વસ્તુઓની એક યાદી તૈયાર કરવી જોઇશે અને તે વ્યકિતને તેની એક નકલ આપવી જોઇશે.

(૮) જે વ્યકિતને આ કલમ હેઠળ ઝડતીમાં હાજર રહીને સાક્ષી થવા માટે તેને આપેલા કે ધારેલા લેખિત હુકમથી બોલાવવામાં આવે અને તે વ્યાજબી કારણ વિના તેમ કરવાની ના પાડે કે તેમ કરવામાં બેદરકાર રહે તો તેણે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૨ હેઠળ ગુનો કર્યો ગણાશે.